પંકજ પંડિત
ઝાલોદ, તા. — ઝાલોદ નગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સર્કલ ખાતે સ્થાપિત પ્રતિમાનું અનાવરણ સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મહાન ક્રાંતિકારી, આદિવાસી સમાજના ગૌરવ અને માત્ર 25 વર્ષની ઉંમરે અંગ્રેજ સાશનના પાયાને હચમચાવનાર ધરતીઆબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને સમગ્ર દેશભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આ યાદગાર અવસરને ઝાલોદ નગરપાલિકા દ્વારા વિશેષ ભવ્યતા સાથે ઉજવાયો.કાર્યક્રમ દરમ્યાન ઢોલ-નગારા સાથે ફટાકડાની ભવ્ય આતશબાજી કરી સમગ્ર માહોલને ગૌરવમય બનાવી દેવાયો. મહાનુભાવોને પુષ્પગુચ્છ, આદિવાસી બંડી તેમજ તીર-કામઠા અર્પણ કરી પરંપરાગત સન્માન આપવામાં આવ્યું હતું.આ અવસરે સાંસદ જશવંતસિંહ ભાભોર, પૂર્વ સાંસદ બાબુભાઈ કટારા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, પ્રાંત અધિકારી અરવિંદ ભાટિયા, મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ પંકજ અગ્રવાલ, નગરપાલિકા ચીફ ઓફિસર યોગેશ ગણાત્રા, પ્રમુખ રેખાબેન વસૈયા, કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ, નગરપાલિકાના કાઉન્સિલરો, ભાજપના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિતિ દર્શાવી હતી.

