વિક્કી ખારડોલા – બનાસકાંઠા
રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે. ત્યારે આજે ધાનેરામાં અર્બુદા સેના દ્વારા આક્રોશ સંમેલન અને શક્તિ પ્રદર્શન સાથે વિપુલ ચૌધરીને નહીં છોડવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. ત્યારે સંમેલનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણાના ચૌધરી સમાજના 20 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા.
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેઓની ગાંધીનગર ખાતેથી ગુરુવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને અને અર્બુદા સેના ગામે ગામ વિરોધ પ્રદર્શન સાથે રેલી ઓ યોજી મામલતદાર અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવી રહ્યાં છે.
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ઉત્તર ગુજરાતના ગામેગામ ફરી અર્બુદા સેનાનું સંગઠન ઊભું કરી રહ્યા હતા. આજે ધાનેરાના નેનાવા ગામે ભવ્ય આક્રોશ મહાસંમેલન યોજાયું હતું. જેમાં ચૌધરી સમાજના સંતો મહંતો કોંગ્રેસના ધારાસભ્યો અને અર્બુદા સેનાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. તમામ લોકોએ એક સુરે થઇ જણાવ્યું હતું કે જો વિપુલ ચૌધરીને સાત દિવસમાં છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજીના માર્ગે ચાલવાને બદલે ભગતસિંહના માર્ગે ચાલી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમજ આવનાર ચૂંટણીમાં ભાજપને બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

