સંકેત પંડ્યા – એડિટર
ગુજરાતના રાજકારણમાં આજે જોરદાર હલચલ જોવા મળી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે લાંબા સમયની નારાજગી બાદ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે કે આપમાં ? કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જ હાર્દિક પટેલ પર હુમલા કરી રહ્યા છે.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું કે અમે હાર્દિક પટેલે કીધું તેમ ટિકિટ આપવામાં આવી હતી, યુપી, બિહાર અને પંજાબમાં તેમને મોકલવામાં આવ્યા હતા. રાહુલજીએ તેમને ખૂબ જ તકો આપી હતી. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસમાં જોડાણ નથી તેવું તો પહેલેથી દેખાતું હતું. આમારી પાર્ટી સક્ષમ છે, તેમના જવાથી કોઈ નુકસાન થવાનું નથી. જે રીતે એમણે ચૂંટણી લડવાની મંજૂરી મેળવી અને ફટાફટ કેસો પાછા ખેંચાવવા મંડ્યા એટલે પહેલેથી જ એંધાણ હતા કે તેઓ અમારી પાર્ટી છોડશે.
કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ કહ્યું છે કે હાર્દિક પટેલના જવાથી કોઈ મોટી ખોટ પડવાની નથી અને તેઓ ભાજપના શરણે જઈ રહ્યા છે. જે ભાજપની સામે તેઓ નિવેદનો કરી રહ્યા હતા તે જ ભાજપમાં તેઓ જઈ રહ્યા છે.
ભાજપ નેતા વરુણ પટેલે શું કહ્યું?
વરુણ પટેલે જણાવ્યું કે હાર્દિક કોંગ્રેસ છોડે છે તે વાત તો ફિક્સ જ હતું, તેમણે છોડ્યું ન હોત તો તેઓને કોંગ્રેસમાંથી કાઢી નાંખવામાં આવ્યા હોત. જો તેઓ ભાજપમાં આવવાના હોય તો મને નથી લાગતું કે કોઈ કાર્યકર તેમનો સ્વીકાર કરે, જોકે નિર્ણય તો મોવડી મંડળનો છે.

