ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)ની જાન્યુઆરીથી શરૂ થનારી બીઈના સેમેસ્ટર 5 અને 7ની પરીક્ષા દરમિયાન ચોરી ન થાય તે માટે રાજ્યની પાંચ ઝોન દીઠ પાંચ સ્ક્વોડ મૂકવામાં આવી છે. આ સ્ક્વોડ કુલપતિના સીધા જ સંકલન રહી કામ કરશે. પરીક્ષાના કોઈ પણ સ્થળેથી કુલપતિ સુધી ફોન કે ઈમેઈલના માધ્યમથી ચોરીની સીધી જ રજૂઆત કે ફરિયાદ બાદ કુલપતિના દિશાનિર્દેશ અનુસાર સ્ક્વોડ સીધી જે તે પરીક્ષા કેન્દ્ર પર ત્રાટકશે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ, ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, રાજકોટ, સુરત સહિતની કુલ પાંચ ઝોનમાં આવેલાં આશરે 300 પરીક્ષા કેન્દ્રોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જીટીયુના કુલપતિ ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષોથી આ પ્રકારે ફુલપતિ કાર્યાલયના સીધા જ સંકલન સાથેની સ્ક્વોડ તહેનાત કરવામાં આવે છે. પરીક્ષા દરમિયાન કોઈ પણ પરીક્ષા કેન્દ્રમાં, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અથવા તો ગેરરીતિને રોકવાના હેતુસર આ વર્ષે પણ સ્પેશિયલ સ્ક્વોડ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ જીટીયુ સત્તાવાળાઓ દ્વારા આ સમગ્ર પરીક્ષાનું પરિણામ 45 દિવસની અંદર જાહેર કરવામાં આવે તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની તૈયારી કરી દેવાઈ છે. કોરોનાની સંભાવનાઓને જોતાં સ્પેશિયલ માર્ગદર્શિકાની પણ જાહેરાત કરવામાં આવશે.

