પંકજ પંડિત
ખોડિયાર માતાના મંદિર પાસે દબાણોમા વધારો થતાં હિન્દુ સંગઠનોમા રોષઝાલોદ નગરમાં ખોડિયાર માતાજી નું મંદિર આવેલું છે. આ મંદિર પર નગરના નાગરિકોને અતૂટ શ્રદ્ધા છે. હાલ નગરમાં માતાજીનું મોટું પર્વ નવરાત્રી પુરી થયેલ છે. નવરાત્રી દરમ્યાન ભાવિક ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા ત્યારે તેઓને મંદિરની આજુબાજુ વધતા દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં દબાણ અંગે મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી પરંતુ આ અંગે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવેલ નથી.તારીખ 08-04-2025 મંગળવારના રોજ ઝાલોદ નગરના જાગૃત નાગરિકો દ્વારા લેન્ડગ્રેબીંગ અંગે લેખિત રજૂઆત કરેલ છે. આ લેખીત રજુઆત મુજબ ઝાલોદ નગરના તળાવની પાળ નીચે ખોડિયાર માતાના મંદિરે આવવા જવાનો રસ્તો આવેલ છે. આ રસ્તાની બંને બાજુએ પાકું બાંધકામ કરી દબાણ કરેલ છે. જેથી મંદિરે આવવા જવાનો જે રસ્તો પહોળો હતો તે હવે સાંકડો રસ્તો બની ગયેલ છે જેથી દર્શન કરવા આવનાર માઈ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે. ગુજરાત સરકાર હાલ મંદિરની આજુબાજુ થતાં દબાણો અંગે કામગીરી કરી રહેલ છે તે અન્વયે ઝાલોદ તંત્ર પણ આ અંગે સફાળે જાગી કાર્યવાહી કરે તેવું નગરજનો ઈચ્છી રહેલ છે.ખોડિયાર માતાના મંદિરની જમણી બાજુએ શૌકત શા કુતુબ શા દીવાન નામના માથાભારે શખ્સ દ્વારા નગરપાલિકાના નકશામાં પણ સુધારો કરી મારી જગ્યા છે તેમ જણાવી ખોડિયાર માતાના મંદિરે જવાના રસ્તા પર પતરાની આડાશો ઉભી કરી દબાણ કરેલ છે. જેથી ખોડિયાર માતાના મંદિરે જવાના તમામ રસ્તાની આજુબાજુના તમામ દબાણો ગેરકાયદેસર છે જેને દૂર કરવા નગરના હિન્દુ આગેવાનો દ્વારા લેખિત રજૂઆત મામલતદારને કરવામાં આવેલ છે.ઝાલોદ નગરના જાગૃત નાગરિક ભરત શ્રીમાળીના કહેવા મુજબ ઝાલોદ નગરના કેટલાક ભૂમાફીયાઓ જ્યાં જ્યાં હિન્દુ સમાજના મંદિરો હોય અથવા હિન્દુ સમાજના મકાનો હોય ત્યાં ખોટી રીતે દબાણ કરવાની માનસિકતા ધરાવતા હોય છે. તેમજ કેટલાક લોકો ખુલીને નથી કહેતા કે બહાર આવીને નથી કહેતા પણ તેઓના માનવા મુજબ સરકારી રેકોર્ડ તેમજ નકલોમા છેડછાડ કરી જમીનો ડરાવી ધમકાવી છીનવી લેતા હોય છે. તેમજ ઝાલોદ રામસાગર તળાવની પાળ પર પાળ સાથે છેડછાડ કરી અમુક લોકોએ પાકા બાંધકામ ઉભા કરી દીધેલ છે. તેથી ઝાલોદ નગરના જાગૃત નાગરિક ભરતભાઈ દ્વારા સાચી અને ન્યાયિક પ્રક્રિયા કરી સાચા રેકોર્ડનો ઉપયોગ કરી દબાણો દૂર કરવા માંગણી કરેલ હતી.

